World Cup 2023: આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ, મોટી-મોટી હસ્તીઓ પહોંચશે અમદાવાદ, જુઓ મહેમાનોની યાદી
07:22 AM Nov 18, 2023 IST
Advertisement
ICC Cricket World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આવતીકાલે રવિવારે શાનદાર મેચ રમવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં ટુર્નામેન્ટની તમામ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ શરૂઆતમાં બે મેચ હારી ગઈ હતી અને પછી શાનદાર વાપસી કરતા ફાઈનલ સુધી પહોંચી છે.
1 લાખથી વધુ લોકો હાજર રહેશે
હવે આ બંને ટીમોની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં લગભગ 1.25 લાખ લોકોની બેઠક ક્ષમતા છે. ત્યારે સ્ટેડિયમમાં ફાઈનલ મેચ જોવા માટે એક લાખથી વધુ લોકો હાજર રહેશે. આવી સ્થિતિમાં આ મેચ જોવા માટે કેટલાક ખાસ લોકો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવવાના છે. આમાં સૌથી ખાસ વ્યક્તિ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે મેદાન પર પહોંચી શકે છે.
ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સ્ટાર્સ પણ રહેશે હાજર
પીએમ મોદી ઉપરાંત કેટલીક ખાસ રાજકીય હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, બોલિવૂડ સ્ટાર્સ, પૂર્વ ક્રિકેટરો પણ આ મેચ જોવા માટે મેદાનમાં આવી શકે છે. આમાંથી એક સૌથી ખાસ વ્યક્તિ મહેન્દ્ર સિંહ ધોની હોઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમએસ ધોની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ આવી શકે છે. ભારતે છેલ્લો વર્લ્ડ કપ 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં જીત્યો હતો અને ધોનીએ જ છેલ્લી સિક્સ ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. છેલ્લા 12 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા ધોની વિના વર્લ્ડ કપ રમી રહી છે. જોકે, ફાઈનલ મેચમાં ટીમનું મનોબળ વધારવા માટે ધોની પણ અમદાવાદ આવી શકે છે.
મેચ જોવા કોણ કોણ આવી શકે છે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે પીએમ મોદી, કપિલ દેવ, એમ.એસ ધોની, સચિન તેંડુલકર, અમિત શાહ, જય શાહ, રોજર બિન્ની, હાર્દિક પંડ્યા, રાજીવ શુક્લા, અંબાણી-અદાણી અને બોલિવૂડ સ્ટાર્સ પણ આવી શકે છે. આ તમામ લોકો ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર, અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અને અન્ય ઘણા લોકો વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમ ખાતે પહોંચી શકે છે.
આ બોલિવૂડ સ્ટાર્સ પણ રહેશે હાજર
બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો રણબીર કપૂર, શાહિદ કપૂર, સિદ્ધાર્થ મલોહત્રા, કિયારા અડવાણી, જ્હોન અબ્રાહમ, વિકી કૌશલ, અનુષ્કા શર્મા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મેચમાં મેદાન પર જોવા મળ્યા હતા. આ તમામ ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ પહોંચી શકશે. આ સિવાય, રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંત, અભિષેક બચ્ચન, કેએલ રાહુલની પત્ની આથિયા સેઠી, શાહરૂખ ખાન, આમિર ખાન, સોહેલ ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ સહિત ઘણા બોલિવૂડ સુપરસ્ટાર્સે ટીમને સપોર્ટ કરવા અમદાવાદ આવી શકે છે.
Advertisement
Advertisement
Advertisement