Junagadh News : મહાતોડકાંડમાં રિમાન્ડ પૂર્ણ થતાં તરલ ભટ્ટ જેલહવાલે, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટની વધી મુશ્કેલી
  • સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને  કરાયા જેલ હવાલે 
  • 335 જેટલા એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાની માહિતી
Junagadh Extortion Case:  જૂનાગઢ તોડકાંડ મામલે સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટ  (PI Taral Bhatt)ને જેલ હવાલે કરાયા છે. પોલીસ દ્વારા કોર્ટમાં કોઈ રિમાન્ડની માંગ ન કરાતા કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે. હવે સેશન્સ કોર્ટમાં તેમના જામીન માટે અરજી કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?

વિગતો મુજબ, કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG દ્વારા ફ્રીજ કરવામાં આવ્યું હતું. આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને EDમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈ.જીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. રેન્જ IGએ તપાસ કરાવતા SOG દ્વારા આવા એક-બે નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ માણાવદરના PI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

આ મામલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આશંકા છે કે આરોપી પોલીસકર્મીઓ દ્વારા એકાઉન્ટ હેક કરીને આ પ્રકારે બેંકની વિગતો મેળવવામાં આવી હોય. જેને લઈને ATSને પોલીસના તોડકાંડ મામલે તપાસ સોંપવામાં આવી હતી. ગેરકાયદેસર મંડળી બનાવીને પૈસા પડાવવા મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ IPCની કલમ 167, 467 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

રેન્જ IGએ તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો

આ મામલે જૂનાગઢના રેન્જ IG નિલેશ જાજડિયા માહિતી આપવામાં આવી હતી કે, થોડા દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને લેખિત રજૂઆત આપી હતી. તેમનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG શાખા દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. એકાઉન્ટ અનફ્રીઝ કરવા પૈસાની માગણી કરવામાં આવી હતી. જે ગુનાહિત પ્રવૃત્તિ જણાતા તાત્કાલિક ગુનામાં સંડોવાયેલા ASI દીપક જાની અને PI અરવિંદ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ કરતા 335થી પણ વધુ એકાઉન્ટ ફ્રીઝ કરેલા હોવાનું સામે આવ્યું હતું.

ATSને સોંપવામાં આવી હતી તપાસ

રેન્જ IG નિલેશ જાજડિયાએ જણાવ્યું કે, આ ગુનામાં થોડા સમય પહેલા જ અમદાવાદથી ટ્રાન્સફર થઈને આવેલા માણાવદરના PI તરલ ભટ્ટ બેંક સહિતની માહિતીઓ પોલીસકર્મીઓને પૂરી પાડતા હતા. આથી કૌભાંડમાં હજુ ઘણા લોકો અને હેકરની સંડોવણી હોવાથી તપાસ ATSને સોંપવામાં આવી હતી.

2 ફેબ્રુઆરીએ તરલ ભટ્ટની કરાઈ હતી ધરપકડ

ફરિયાદ નોંધાયા બાદથી ત્રણેય પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ તરલ ભટ્ટ 2 ફેબ્રુઆરીએ અમદાવાદના એસપી રિંગ રોડથી ઝડપાયા હતા. જે બાદ તેઓને ત્રણ તારીખે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને એટીએસ દ્વારા તોડકાંડ મામલે કેટલીક બાબતો અંગે તરલ ભટ્ટની પૂછપરછ પણ કરવામાં આવી હતી . રિમાન્ડ પૂર્ણ થતા આજે તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT